Friday, February 4, 2011

શ્રદ્ધાંજલિ : ‘ભારતરત્ન’ પંડિત ભીમસેન જોશીનો સૂર થંભી ગયો


પંડિત ભીમસેન જોશીનું નામ પડતાં જ આપણું મસ્તક આદરભેર ઝૂકી જાય. પંડિતજીનો નાભિમાંથી નીકળતો બુલંદ અને ઘૂંટાયેલો અવાજ જાણે સ્વર્ગના ગાંધર્વોની પ્રતીતિ કરાવતો હોય એવું હંમેશાં લાગે. શાસ્ત્રીય સંગીતને વરેલી આ વિરલ હસ્તીની થોડી યાદો વાગોળીએ...

ભારતીય શાસ્ત્રીય સંગીત અને પંડિત ભીમસેન જોશી જાણે એકબીજાના પર્યાય હોય એમ લાગે. એમની ગાયકીને માણતા લોકોને તો જાણે સૂરોનો શહેનશાહ મળી ગયો હોય એમ લાગે પણ પંડિતજી પોતે એટલા તલ્લીન થઈ ગયા હોય કે જાણે ગાતી વખતે એમને ઈશ્વરનો સાક્ષાત્કાર ન થયો હોય? શાસ્ત્રીય સંગીત જ જાણે એમનું ઝનૂન અને જીવન હતું. આ અનોખી પ્રતિભાની કેટલીક રસપ્રદ વાતો વાંચવી સૌને ગમશે.

ચાહકો અને પરિવારજનો એમને અન્ના (મોટા ભાઈ) અથવા ભીમ અન્ના તરીકે ઓળખે. ૨૪મી જાન્યુઆરી, ૨૦૧૧ની સવારે એમણે પૂનાની હોસ્પિટલમાં શ્વાસ છોડ્યા ત્યારે શાસ્ત્રીય ગાયકીનો જાણે યુગ આથમી ગયો હોય એવું સૌને લાગ્યું.

કર્ણાટક રાજ્યના ગદગ નામના શહેરમાં ૪ ફેબ્રુઆરી, ૧૯૨૨ના રોજ તેમનો જન્મ થયો. શિક્ષક પિતા ગુરુરાજ જોશીનાં સોળ સંતાનોમાં સૌથી મોટા દીકરા એટલે ભીમસેન. માનું અવસાન બહુ નાની ઉંમરે થયું એટલે એમનો ઉછેર સાવકી માએ કર્યો.

પિતાની ઇચ્છા એવી હતી કે ભીમસેનજી ડોક્ટર કે એન્જિનિયર બને, પરંતુ જ્યારે તેમણે ઉસ્તાદ અબ્દુલ કરીમખાને રાગ જિંજોતીમાં ગાયેલી રેકર્ડેડ ઠૂમરી પિયા બિન નહીં આવત ચૈન સાંભળી એ ઘડીથી બાળ ભીમસેનને સંગીતકાર બનવાની પ્રેરણા મળી. સંગીત શીખવા માટે યોગ્ય ગુરુની શોધમાં ફક્ત ૧૧ વરસની કુમળી વયે એમણે ઘર છોડી દીધું. ઘરેથી કંઈ રૂપિયા લઈને તો નહોતા નીકળ્યા, ટિકિટ વગર ટ્રેનમાં બેસી ગયેલા. સાથી મુસાફરોએ એમને મદદ કરી ત્યારે તેઓ પૂના પહોંચ્યા. જોકે, ત્યાં એમની સફર પૂરી નહોતી થઈ. એમને તો શાસ્ત્રીય ગાયનની તાલીમ કોઈ પણ ભોગે લેવી જ હતી. આથી પંડિતજી ગ્વાલિયરના મહારાજાઓ દ્વારા ચાલતી માધવ મ્યુઝિક સ્કૂલમાં એ દાખલ થયા. સતત ત્રણ વરસ સુધી ગુરુની શોધમાં ભીમસેનજી સતત ત્રણ વરસ સુધી દિલ્હી, કોલકાતા, ગ્વાલિયર, લખનૌઉ અને રામપુર સહિત ઉત્તર ભારતમાં ફરતા રહ્યા.

૧૯૩૬માં તેમની ખોજનો અંત આવ્યો સવાઈ ગાંધર્વ તરીકે પ્રખ્યાત પંડિત રામભાઉ કુંડગોલકરના મેળાપથી. રામભાઉ પાસે તેમના જ ઘરે રહીને ભીમસેનજીએ સંગીતનું શિક્ષણ લીધું. શાસ્ત્રીય ગાયકીમાં જેમનું નામ આદરભેર લેવાય છે એવાં ગંગુબાઈ હંગલ એ સમયે એમનાં સહાધ્યાયી હતાં.

ફક્ત ઓગણીસ વરસની ઉંમરે ભીમસેન જોશીએ મુંબઈમાં એમની કારકિર્દીનો સૌથી પહેલો લાઇવ કાર્યક્રમ આપ્યો. મુંબઈના ઓલ ઇન્ડિયા રેડિયોસ્ટેશનમાં એક રેડિયોકલાકાર તરીકે તેમણે ફરજ બજાવી. પંડિતજી ફક્ત બાવીસ વરસના હતા ત્યારે એચએમવીએ કન્નડ અને હિન્દી એમ બે ભાષામાં ભક્તિગીતોનું આલબમ પ્રસિદ્ધ કર્યું.

શાસ્ત્રીય ગાયન શીખવાની ખેવના કેમેય પૂરી નહોતી થતી. બંગાળી કલાકાર પહાડી સંન્યાલને સાંભળવા માટે ભીમસેન જોશીએ એમના ઘરે નોકર તરીકે પણ કામ કર્યું છે. શાસ્ત્રીય ગાયનમાં તેમની માસ્ટરીને લોકોની ચાહના મળવા લાગી. વર્ષો વીતવાની સાથે કેટલાક રાગોમાં તેઓ તજ્જ્ઞ બની ગયા. પંડિત ભીમસેન જોશીના મુખેથી શુદ્ધ કલ્યાણ, મિયાં કી તોડી, પુરિયા ધનશ્રી, મુલતાની, ભીમપલાસ, દરબારી અને રામકલી રાગ સાંભળવા એક લહાવો છે. ગાયકીની બાબતમાં પંડિત ભીમસેન ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન ઉપરાંત બીજા ઘણા સંગીતકારો જેમ કે કેસરબાઈ કેરકર, બેગમ અખ્તર અને ઉસ્તાદ આમિર ખાનથી પ્રભાવિત હતા. જોકે કિરાના ઘરાના તેમની ઓળખ છે.

કન્નડ, હિન્દી અને મરાઠી ભાષામાં તેમનાં ભજનો આજે પણ લોકોને સાંભળવાં ગમે છે. તેમની ધાર્મિક રચનાઓમાં દાસવાણી અને એન્ના પાલિસો (કન્નડ ભજનો) તથા સંતવાણી (મરાઠી અભંગ) આલબમ સુપર હિટ થયાં હતાં.

ભીમસેન જોશીનાં લગ્ન બહુ નાની ઉંમરે તેમની પિતરાઈ સુનંદા કટ્ટી સાથે કરી દેવાયાં હતાં. તેમના ઘરે બે દીકરા અને બે દીકરીઓ જન્મી. પંડિત ભીમસેન જોશીએ વત્સલા મુધોલકર સાથે બીજાં લગ્ન કર્યાં. બીજાં લગ્નથી તેમને બે પુત્રો જયંત અને શ્રીનિવાસ અને એક પુત્રી શુભદા અવતર્યાં.

પંડિત ભીમસેન જોશી એક નિર્દોષ, નિરભિમાની અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા. ખૂબ જ શાંત અને સરળ જીવન જીવવામાં માનનારા પંડિત ભીમસેન જોશી વિશે બહુ ઓછી જાણીતી પણ માણવાની મજા આવે એવી વાત એ છે કે, શાસ્ત્રીય ગાયકીના સરતાજને કારની પૂરઝડપ ખૂબ જ પસંદ હતી. સંગીતના કાર્યક્રમો આપવા માટે વારંવાર હવાઈ માર્ગે મુસાફરી કરતા હોવાને કારણે એર ઇન્ડિયાના પાઇલટ્સ તેમને ‘ફ્લાઈંગ મ્યુઝિશિયન ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખતા!

૧૯૮૫માં પ્રસિદ્ધ થયેલા ‘મિલે સૂર મેરા તુમ્હારા’ મ્યુઝિક વીડિયો માટે તેમની ખૂબ જ સરાહના થઈ હતી. કેટલીક ફિલ્મો જેમ કે, મન્ના દે સાથેની બસંત બહાર (૧૯૫૬), પંડિત જસરાજ સાથેની બીરબલ માય બ્રધર (૧૯૭૩) તથા તદુપરાંત તાનસેન (૧૯૫૮) અને અનકહી (૧૯૮૫)નાં ગીતો માટે તેમણે પોતાનો સ્વર પ્રદાન કર્યો હતો.

૧૯૫૩માં પોતાના ગુરુની પ્રથમ પુણ્યતિથિની ઉજવણી નિમિત્તે ગુરુ પ્રત્યેની નિષ્ઠા, પ્રેમ અને આદર બતાવવા તેમણે સવાઈ ગાંધર્વ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરેલું. ૧૯૫૩થી માંડીને ૨૦૦૨ની સાલ તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે આ ફેસ્ટિવલનું સંચાલન કર્યું. પૂનામાં યોજાતો આ કાર્યક્રમ એક સાંસ્કૃતિક કાર્યક્રમ ન રહેતાં ભારતીય શાસ્ત્રીય સંગીત માટે માઇલસ્ટોન સમાન બની રહ્યો. શાસ્ત્રીય સંગીતક્ષેત્રે અપાતા લગભગ તમામ એવોર્ડ તેમણે મેળવ્યા. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણથી માંડીને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ થી તેમને સન્માનિત કરાયા છે. આવી વિરલ વિભૂતિ પાસે સંગીતની તાલીમ લેનારામાં પંડિત માધવ ગુડી, શ્રીકાંત દેશપાંડે, પંડિત વિનાયક તોરવી, ઉપેન્દ્ર ભાટ, શ્રીનિવાસ જોશી (પંડિત ભીમસેનના પુત્ર), પંડિત રાજેન્દ્ર કંડાલગાંવકર તથા આનંદ ભાટેની ગણતરી સફળ સંગીતજ્ઞો તરીકે થાય છે.

શાસ્ત્રીય સંગીતની જેમનાથી શોભા વધે એવા સંગીતના સરતાજના સૂરો સદાય અમર રહેશે.

Story Published in Abhiyan

No comments:

Post a Comment